25 February 2012

કોઈ શું કરે ?


એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?
એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?
જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?
કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?
ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?
                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
                                                   (સંગ્રહ – ‘છોડીને આવ તું’)

24 October 2011

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !
કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !
વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !
પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !
- ભરત વિંઝુડા